બિલ્ડર પર હુમલા કેસમાં બાવળું પોલીસ સ્ટેશનના મહિલા PSI સહિત 4 પોલીસકર્મીઓની બદલી
અમદાવાદના એક બિલ્ડર પર થયેલા હિંસક હુમલાના કેસમાં બાવલુ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ એમ. વી. દેસાઈ સહિત ચાર પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે, જેના કારણે મામલો ચર્ચામાં આવ્યો છે. આ હુમલામાં પોલીસ ચોપડે વૉન્ટેડ એવા વેકરાના પૂર્વ સરપંચ મેહુલ રબારી સામે પોલીસ સાથે સાંઠગાંઠના ગંભીર આરોપો ઉઠ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મેહુલ રબારીએ પોલીસને વિશ્વાસમાં લઈને આ હુમલો આયોજનપૂર્વક કર્યો હોવાની ચર્ચા છે. હુમલા દરમિયાન ગુનેગારો કોર્ટ કમિશન વખતે ખેતરમાં ગાદલાં નાંખીને છુપાયા હતા. આ ઘટના બાદ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાયા અને મહિલા પીએસઆઈ એમ. વી. દેસાઈને અરવલ્લી જિલ્લામાં મોકલી દેવાયા, જ્યારે અન્ય ત્રણ પોલીસકર્મીઓ ધવલસિંહ, તરૂણસિંહ અને દિલીપ રબારીને મહેસાણા હેડ કવાર્ટરમાં તગેડી મુકાયા છે.

આ ઉપરાંત બાવલુ પોલીસ સ્ટેશનના પીઆઈ વાય. એ. પરમાર હાલ રજા પર હોવાથી પીઆઈ એ. એન. સોલંકીને વચગાળાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઘટનાએ પોલીસ વિભાગની કામગીરી અને ગુનાખોરી સામેની નિષ્પક્ષતા પર સવાલો ઉભા કર્યા છે.