રાત્રી કરફ્યુનો ભંગ કરી બહાર રખડતા વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી
કલોલમાં વધતા જતા કોરોનાના કેસોને લઈને રાત્રી કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ અમુક શખ્સો દ્વારા જાહેર આરોગ્ય સાથે ચેડાં કરાતા હોય તેમ રાત્રે બહાર રખડતા અથવા બેસી રહેતા જોવા મળે છે.જેથી પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. વિગતો અનુસાર કલોલ શહેર પોલીસ દ્વારા બહાર રખડતા તત્વો વિરુદ્ધ મહામારી એક્ટ હેઠળ ગુના નોંધી રહી છે. કલોલમાં પોલીસે રાત્રે રખડતા પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
વધતા જતા કોરોનાના કેસોને કારણે સરકાર દ્વારા કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 17 નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા,કલોલ, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર ,કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૨થી દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.
નવી ગાઈડલાઈન મુજબ, 8 મહાનગર અને 19 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યક સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્પલેક્ષ, માર્કેટિંગ યાર્ડ, સલૂન, સ્પા અને બ્યૂટીપાર્લર તેમજ અન્ય ગતિવિધિઓ રાત્રે 10.00 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. હોટલ અને રેસ્ટોરન્ટ્સ બેઠક ક્ષમતાના 75 ટકા સાથે રાત્રે 10.00 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં હોમ ડિલિવરી 24/7 ચાલુ રાખી શકાશે. ધોરણ-9થી 12 અને પોસ્ટ ગ્રેજ્યુએશન સહિતના વર્ગો તેમજ કોચિંગ ક્લાસ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.