વોટર એટીએમ વરદાનરૂપ સાબિત થયા
કલોલમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેને અનેક સોસાયટીઓમાં પીવાનું પાણી બંધ કરી દેવાયું હતું. જોકે કલોલ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં મુકવામાં આવેલ વોટર એટીએમ લોકો માટે વરદાનરૂપ સાબિત થયા હતા. આ દસ દિવસ દરમિયાન હજારો લોકોએ વોટર એટીએમનો ઉપયોગ કરીને ઓછી કિંમતે મિનરલ પાણીનો લાભ મેળવ્યો હતો. જો આ વોટર એટીએમ ન હોત તો કેવી ભયંકર સ્થિતિ સર્જાત તે વિચાર જ ધ્રુજાવી દે છે.
કલોલ પૂર્વમાં પાલિકાએ વિવિધ જગ્યાએ વોટર એટીએમ મુક્યા છે. સામાજિક કાર્યકર નિલેશ આચાર્ય દ્વારા આ એટીએમનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેઓએ પાણીના રિચાર્જથી માંડીને લોકોને શીખવાડવા સુધીની તમામ કામગીરી ઉપાડી લીધી હતી. વોટર એટીએમ બાબતે કોઈપણ જરૂર પડે ત્યારે હાજર થઇ જતા નિલેશભાઈનો લોકોએ આભાર માન્યો હતો. પાલિકાનું કામ નિલેશભાઈએ કર્યું હતું અને વોટર એટીએમની મહત્વતા સમજાવી હતી.
ઉનાળાની સિઝનમાં પાણી પીવા પર વધુ ભાર મુકાય છે. ત્યારે લોકોને ઓછી કિંમતમાં અને શુદ્ધ આરઓ પાણી મળી રહે તે માટે કલોલ નગરપાલિકાએ વ્યવસ્થા ઉભી કરી છે.અહીં એક રૂપિયામાં એક લીટર અને પાંચ રૂપિયામાં દસ લીટર પાણી મળી રહે છે જયારે એટીએમ કાર્ડથી દસ રૂપિયામાં 20 લીટર પાણી મળે છે.