ભાજપ ઠાકોર,SC કે આયાતી ઉમેદવારને ટિકિટ આપે તો નવાઈ નહીં
કલોલ બેઠક જીતવા ભાજપ મરણીયો થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ખુદ આ બેઠક જીતવા જોર લગાવી રહ્યા છે. આ સંજોગોમાં કલોલ બેઠક જીતવા ભાજપ પાટીદારને સ્થાને કોઈ ઠાકોર ઉમેદવારને ટિકિટ આપી શકે છે. વધુમાં એસસી ઉમેદવાર કે આયાતી ઉમેદવાર પણ આવી શકે છે.
કલોલમાં સૌથી વધુ મત ઠાકોર સમાજના છે જ્યારે બીજા નંબરે પટેલ મતદારો છે. કોંગ્રેસમાંથી બળદેવજી ઠાકોર નક્કી જ છે જ્યારે ભાજપના કોઈ પાટીદાર ઉમેદવાર આવે તેવી ચર્ચાઓ છે. જોકે આ સ્થિતિમાં ધ્રુવીકરણ થાય અને ભાજપને નુકશાન સહન કરવું પડે તેમ છે. તો બીજી તરફ ઠાકોર ઉમેદવાર મુકવામાં આવે તો ભાજપને પાટીદાર તેમજ ઠાકોર વોટ મળવાની સંભાવના વધી જાય તેમ છે. ઉપર નરેન્દ્ર મોદી અને અમિત શાહની કલોલમાં ઠાકોર ઉમેદવાર મુકવાની રણનીતિ હોય તેમ સૂત્રો જણાવી રહ્યા છે.
કેમ કે 2012માં અતુલ પટેલ અને બળદેવજી ઠાકોર વચ્ચેના જંગમાં ગમાજી ઠાકોર ચૂંટણી લડ્યા તો કોંગ્રેસના માર્જિનમાં ઘટાડો થયો હતો. બીજી તરફ 2017માં ઠાકોર ઉમેદવાર ન હોવાથી કોંગ્રેસનું માર્જિન ઘણું વધી ગયું હતું. આ સંજોગોમાં ભાજપ કોઈ ઠાકોર, એસસી કે મજબૂત આયાતી ઉમેદવાર લાવે તેવી સ્થિતિ બની રહી છે. બંને પક્ષોમાં ઠાકોર ઉમેદવાર થાય તો ભાજપનું પલડું ભારે થઇ શકે છે.
કલોલમાં હાલ ભાજપમાં ટિકિટ માટે પાટીદાર ચહેરો પણ શોધાઈ રહ્યો છે. જોકે એકને ટિકિટ મળે તો બીજા નારાજ થાય તેવી શક્યતા પણ છે જેને કારણે સર્વસંમતિથી ઠાકોર અથવા બહારથી કોઈ મજબૂત ઉમેદવાર લાવવામાં આવે તો કોંગ્રેસને હંફાવી શકાય તેમ છે. હાલ આ અંગે વિચારણા ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બીજી તરફ ભાજપમાં કોઈ મહિલાને ટિકિટ મળે તેવી પણ શક્યતા છે. આ બેઠક પર 50 ટકા મહિલા મતદાર હોવાથી તેમના મતો અંકે કરવાની ગણતરી પણ ભાજપ રાખી શકે છે.
