બ્રોડગેજ રેલવે લાઈનની જાહેરાત લોલીપોપ
કલોલથી કડી અને બેચરાજીને જોડતી મીટરગેજ ટ્રેનો છેલ્લા પાંચ વર્ષથી બંધ કરી દેવામાં આવી છે. આ લાઈન પર ગેજ પરિવર્તનનું લોલીપોપ આપીને હજુ સુધી કામગીરી હાથ ધરવામાં આવી નથી જેને કારણે લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.સૌથી સસ્તા ભાડે અને ટૂંકા રસ્તે અમદાવાદથી બેચરાજી તેમજ પાટણ સુધી મુસાફરો મુસાફરી કરી શકતા હતા જોકે હવે તેઓએ ઊંચું ભાડું ખર્ચીને જવું પડી રહ્યું છે.
અમદાવાદ-પાટણ વાયા બેચરાજી રૂટને ઘણા લાંબા સમયથી બ્રોડગેજ કરવાનું ગાજર પકડાવીને લોકોને ઉલ્લુ બનાવવામાં આવ્યા છે. અમદાવાદથી કલોલ સુધી બ્રોડગેજ રેલવે લાઈન છે પરંતુ કલોલથી કડી, બેચરાજી અને પાટણ સુધીનું કામકાજ હજુ સુધી પણ ચાલુ કરવામાં આવ્યું નથી. પાંચ વર્ષ વીતી ગયા હોવા છતાં આ કામ ચાલુ ના થતા લોકોને મીટરગેજ પર ચાલતી ગાડીઓથી પણ વંચિત રહેવું પડ્યું છે.
શક્તિપીઠ બેચરાજી હિંદુઓની મોટી શક્તિપીઠ હોવાથી અહીં લાખો લોકો માતાજીના દર્શને આવતા હોય છે. આ ઉપરાંત અમદાવાદ તરફથી દર પૂનમે લાખો લોકો બેચરાજી દર્શન કરવા જતા હોય છે. પરંતુ આ રેલવે લાઈન પર કામ જ ચાલુ ના થતા કલોલ,કડી,બેચરાજી તેમજ પાટણની જનતાને ભારે સમસ્યા ઉભી થઇ છે.
રેલવે મુસાફરી અન્ય વાહનોની સરખામણીએ સસ્તી અને ઝડપી હોવાથી લોકો આ રૂટનો ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત કલોલથી કડી તરફ પણ ઘણા બધા મુસાફરો મુસાફરી કરતા હોય છે. આ લાઈન પાટણ,બેચરાજી પંથકને સીધી જ અમદાવાદ સાથે જોડે છે. લોકોએ ઝડપથી કામગીરી કરવા માટે તંત્રને અનેક આવેદન પત્ર આપ્યા હોવા છતાં આંખે પાટા બાંધીને બેસી રહ્યું છે જેને કારણે પ્રજામાં પણ આક્રોશ વ્યાપ્યો છે.