કલોલમાં ગઠિયો વેપારીના દસ લાખ રૂપિયા લઈ ફરાર થઇ જતા ચકચાર

કલોલ શહેરના હાઇવે ઉપર આવેલા અંબિકા ગરનાળા પાસે આવેલ શ્રીજી પાર્લરની સામે વિનાયક કિરાણા નામની દુકાન આવેલી છે. આ દુકાનના માલિક સવારે પોતાની દુકાન ખોલવા માટે આવ્યા હતા. વેપારી પાસે પાકીટમાં રોકડા રૂપિયા દસ લાખ ભરેલા હતા. અમદાવાદમાં પેમેન્ટ આપવાનું હોવાથી પર્સમાં ઘરેથી દસ લાખ રૂપિયા મૂકી દુકાન પર પહોંચ્યા હતા.
વેપારીએ એક શટર ખોલ્યું હતું ત્યારબાદ બીજું શટર ખોલવા ગયા ત્યારે એક કિશોર ગઠિયો બિસ્કિટ લેવાના બહાને અંદર આવ્યો હતો. આ દરમિયાન વેપારીએ એક શટર ખોલી રૂપિયા ભરેલું પર્સ ત્યાં મૂક્યું હતું. આ દરમિયાન ગઠિયો વેપારીની નજર ચૂકવી દસ લાખ રૂપિયા ભરેલું પર્સ લઈ ફરાર થઇ ગયો હતો. જેને પગલે વેપારી હાંફળા ફાંફળા થઈ ગયા હતા. અજાણ્યો ગઠિયો દસ લાખ ભરેલું પર્સ લઈ ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ હતી. પર્સ ચોરાતા વેપારી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે વેપારીની ફરિયાદ લઈને આગળ તપાસ હાથ ધરી છે.

કલોલના ભગવતી શોપિંગની દુકાનોના ફરી તાળા તૂટતા વેપારીઓમાં રોષ
કલોલ હાઇવે પર આવેલા ભગવતી કોમ્પલેક્ષમાં ફરી દુકાનોના તાળા તૂટવાની ઘટના સામે આવી છે. ચોરો દ્વારા અવારનવાર અહીં તાળા તોડવાની ઘટનાને પગલે દુકાનદારોમાં ફફડાટ પેસ્યો છે. આ મામલે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈપણ જાતના પગલાં ભરવામાં આવતા નથી જેને કારણે વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે.
ગુરુવારની રાત્રે ભગવતી કોમ્પલેક્ષમાં આવેલ બે દુકાનોના લોક તોડવામાં આવ્યા હતા. આ શખ્સો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા જેને પગલે પોલીસ દ્વારા તપાસ કરી અને ઝડપી લેવામાં આવે તેવી ઉગ્ર માંગણી થઈ છે. આ કોમ્પ્લેક્સમાં આવેલ એક દુકાનમાંથી દસ હજાર રૂપિયા ચોરાયા હતા. ભગવતી શોપિંગ સેન્ટરમાં વારંવાર બનતી ઘટનાઓથી વેપારીઓમાં ફફડાટ પેસી ગયો છે.