કલોલ સિવિલ નો વહીવટ ખાડે જતા દર્દીઓ પરેશાન
કલોલમાં જૂની સિવિલ ને તોડીને હવે નવું સામુહિક કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જોકે દર્દીઓની સ્થિતિ તો ઠેરના ઠેર જ રહી છે. આ હોસ્પિટલમાં ડોકટરો ગેરહાજર રહેતા હોવાની ફરિયાદ પણ સામે આવી છે. પરમ દિવસે જ ડોક્ટર એસી ચેમ્બરમાં બેસી રહ્યા હોવા છતાં મહિલાની પ્રસુતિ માટે બહાર નીકળ્યા નહોતા જેને પગલે નવજાત બાળકનું મોત થયું હતું.
કલોલની સરકારી હોસ્પિટલમાં મોટાભાગની આરોગ્ય સેવાઓનો લાભ લોકોને મળતો નથી. નવી કરતા જૂની હોસ્પિટલમાં વધુ સારી સારવાર મળતી હતી તેવું લોકો જણાવી રહ્યા છે. સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હાલ કોઈ મોટી અને ગંભીર બીમારીનો ઈલાજ થતો નથી. સોનોગ્રાફી, સિટી સ્કેન, એમઆરઆઈ જેવા મહત્વના કોઈપણ ટેસ્ટ અહીં થતા નથી.વધુમાં લેબમાં બ્લડ ટેસ્ટ માટે સુવિધાનો અભાવ છે.સીએચસીમાં ફિઝિશિયન અને ઓર્થોપેડિક ડોકટર નથી,અકસ્માત થાય તો ઘાયલોને સારવાર માટે છેક ગાંધીનગર અથવા અમદાવાદ મોકલવા પડે છે જેથી ઘણા ખરા કિસ્સામાં રસ્તામાં જ મૃત્યુ પામતા હોવાની ઘટનાઓ સામે આવેલ છે.
આઘાતજનક : કલોલ સિવિલમાં પ્રસુતિ સમયે ડોક્ટર હાજર ન રહેતા નવજાત શિશુનું મોત
ઘણી વખત ડોક્ટર હમણાં આવો તેમ કહી ધક્કા પણ ખવડાવતા હોય છે. અગાઉ કોલેરા વખતે પણ ડોકટરે પોતાની મનમાની કરી હતી જેને લઈને કલેકટરે ખખડાવી દીધા હતા. ક્લોલના સીએચસી સેન્ટરની અવ્યવસ્થાથી દર્દીઓ કંટાળી ગયા છે ત્યારે સરકાર દ્વારા કડક પગલાં ભરાય તેવી લોકો માંગ કરી રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો