કલોલ પૂર્વનું આંબેડકર સંકુલ પાણીમાં ગરકાવ, પાલિકા તંત્ર ચિરનિંદ્રામાં
BY પ્રશાંત લેઉવા
કલોલમાં ધોધમાર વરસાદ પડતા અનેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ છે. શહેરના રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલ ડૉ.બાબાસાહેબ આંબેડકર સંકુલ આગળ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. ગત રાત્રીએ વરસાદ પડતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો.દર વખતે ચોમાસામાં પાણી ભરાઈ જતા સમસ્યા ઉભી થાય છે તેમ છતાં તંત્ર દ્વારા ઉકેલ લાવવામાં નહીં આવતા રોષ ફેલાયો છે.
આ સંકુલમાં અર્બન હેલ્થ સેન્ટર અને લાયબ્રેરી આવેલી છે. મોટી સંખ્યામાં લોકો સારવાર માટે અહી આવે છે. પાણી ભરાઈ જતા દર્દીઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓ વાંચન માટે આવતા હોય છે. નજીવા વરસાદમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ જતું હોવાથી આસપાસમાં રહેતા લોકોને હેરાનગતિ થઈ રહી છે.
આંબેડકર સંકુલ આસપાસ ત્રણથી ચાર શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પાણી ભરાઈ જવાને કારણે વાલીઓ અને બાળકોને અસહ્ય હેરાનગતિનો સામનો કરવો પડે છે. તંત્રમાં આ મામલે વારંવાર રજૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ કલોલ નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે કોઈપણ જાતની નક્કર કામગીરી કરવામાં આવતી નથી તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
કલોલ અર્બન હેલ્થ સેન્ટર -૧ તથા જ્યોતિબા ફૂલે લાઈબ્રેરી અને સામેની બાજુ પ્રાથમિક શાળાઓ જેવી આરોગ્ય અને શિક્ષણ જગત માટે જન ઉપયોગી સંસ્થાઓ જ્યાં આવેલી છે તેવુ ડો.આંબેડકર ભવન અને સામેનો વિસ્તારમાં સહેજ વરસાદમાં કેડસમા પાણી ભરાઈ જવાની સમસ્યાથી પરેશાન થઈ જાય છે જેથી ગરીબ દર્દીઓ, પ્રાથમિક શાળાના વિધાર્થીઓ ,શાળાનાં શિક્ષકગણ,આરોગ્ય વિભાગના ડોકટર તથા કર્મચારીઓ અને લાઈબ્રેરીમાં વાંચવા માટે આવતા વિધાર્થીઓ ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે અહીં પાણી ભરાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ થઈ રહી છે.