કલોલવાસીઓ આજે ઉત્તરાયણની મજા માણશે, તુવેર ટોઠા-લીલી હળદર ઝાપટશે

કલોલવાસીઓ આજે ઉત્તરાયણની મજા માણશે, તુવેર ટોઠા-લીલી હળદર ઝાપટશે

Share On

કલોલવાસીઓ આજે ઉત્તરાયણ ની મજા માણશે

આજે શહેરમાં ઉત્તરાયણ ધૂમધામપૂર્વક ઉજવવામાં આવશે.  ઉત્તરાયણ પર્વમાં શેરડી, બોર, જામફળ અને ચિક્કી આરોગતા પતંગની મજા અબાલવૃદ્ધ માણતા હોય છે. બજારમાં શેરડી, બોર, ચિક્કી, જામફળ, પિપુડા, મુખોટા, ગોગલ્સ સહિતની ખરીદી કરતા લોકો નજરે પડી રહ્યા હતા. ઉત્તરાયણ પર્વમાં ધાબા-અગાશી ઉપર પતંગ ઉડાવવાની સાથે સાથે પતંગરસિયાઓ ચીક્કી, વસાણા સહિત ઉંધીયું તેમજ જલેબીની જ્યાફત માણતા હોય છે.આ ઉપરાંત  તુવેર ટોઠા-લીલી હળદર ખાવાનો પણ એક નવો ટ્રેન્ડ લોકોમાં જોવા મળી રહ્યો છે. કલોલમાં અંબિકા હાઇવે પર આવેલ ખોડિયાર પરોઠા હાઉસ તેના માટે વખણાય છે

મકરસંક્રાંતિનો મહત્વપુર્ણ સમય, પરિવર્તનનો, જુનું તજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.

ભારતનાં અન્ય પ્રાંતોમાં આજનાં દિવસે માલિક પોતાનાં નોકરોને અન્ન,વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે આપે છે.મકરસંક્રાંતિનાં પછીનાં દિવસે પશુ-પ્રાણીઓ,ખાસતો ગાયને પણ યાદ કરાય છે.નાની બાળાઓનાં હસ્તે પશુ,પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે.આ દિવસે યાત્રા-પ્રવાસ કરવો અનુચિત મનાય છે,કારણકે આ દિવસ કુટુંબ-પરિવારનાં મિલન અને પરિવાર માટે સમર્પણનો છે.આ દિવસે ગુરુજનો પોતાનાં શિષ્યોને આશિષ આપે છે.

પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. આર્યોસૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેવી માંગણી કરવામાં આવી છે.

સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહે છે. જયોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. મકરસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ હોવાથી મહાભારત કાળમાં ભીષ્મએ મકરસંક્રાંતિમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું.

કલોલ સમાચાર