કલોલનાં પાનસરમાં ઝેરી વાયુ છોડી પ્રદુષણ ફેલાવતી કંપની બંધ કરવા રજુઆત
BY પ્રશાંત લેઉવા
કલોલ : આજરોજ પાનસર તથા આસપાસના ગામોના આગેવાનો દ્વારા કલોલ મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને ઝેરી ગેસ છોડતી કંપની બંધ કરાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
કલોલના પાનસર ગામે આવેલી કંપની દ્વારા ઝેરી અને પ્રદૂષિત ગેસ વાતાવરણમાં છોડવામાં આવી રહ્યો છે મોડી રાત્રે બે વાગ્યા બાદ ઝેરી ગેસ છોડવામાં આવતા પાનસર, ઈસંડ, ઓળા, વડાસ્વામી અને ઝુલાસણ ગામના લોકોને તકલીફ પડી રહી છે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલીઓ થઈ રહી છે તેમ જ ઉલટી ઉબકા તથા આંખોમાં બળતરા જેવી ફરિયાદો થઈ રહી હતી.
સતત ત્રણ મહિનાથી આ પ્રકારનો ગેસ છોડવામાં આવતો હોવાથી લોકોનું જીવવું દુષ્કર બન્યું છે અને આ બાબતે તેઓએ લાગતા વળગતા તંત્રમાં રજૂઆત કરી છે પણ પરિણામ કંઈ આવતું નથી.
કંપની કોઈ વગદાર માણસની હોવાથી કોઈ કાર્યવાહી થતી ન હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે તેમજ તપાસ માટે આવેલા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને પણ કંપનીમાં પ્રવેશવા દેવામાં આવતા નથી તેવી ગ્રામજનોએ ફરિયાદ કરી છે. આસપાસનાં ગ્રામજનોને મુશ્કેલીઓ પડી રહી છે તેમજ બાળકોને અને વૃદ્ધોને વિશેષ તકલીફ થઈ રહી છે ત્યારે આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને કંપની બંધ કરાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.