કલોલના બાકી વિકાસકાર્યો મુદ્દે મુખ્યમંત્રી ને રજૂઆત
કલોલ શહેરમાં વિકાસના અનેક કામો અટકી પડ્યા છે. જેને લઈને લોકો હાડમારી ભોગવી રહ્યા છે. માણસા ખાતે મુખ્યમંત્રી ની બેઠક યોજાઈ હતી જેમાં કલોલના અટકી પડેલ વિકાસકામોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. કલોલ-માણસા રોડની કામગીરી તેમજ અંબિકા ગરનાળાને પહોળું કરવાની કામગીરી બાબતે મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચન કર્યું છે.
છેલ્લા ત્રણ વર્ષથી કલોલ-માણસા રોડની કામગીરી ચાલી રહી છે. તેમ છતાં હજુ સુધી આ કામગીરી પૂર્ણ થઇ નથી જેથી હજારો વાહનચાલકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આસપાસના 50થી વધુ ગામના લોકો આ રોડનો ઉપયોગ કરે છે. અમુક સ્થળે આ રસ્તો બનાવવામાં વેઠ ઉતારાઈ છે. જેને લઈને મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચતા તેમણે અધિકારીઓને ઝડપથી કામગીરી કરવા નિર્દેશ આપ્યો છે.
બીજી તરફ અંબિકા ગરનાળે વાહનોનો ટ્રાફિક વધી રહ્યો છે. ગરનાળું સાંકડું પડતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ અનેક વખત અકસ્માત પણ સર્જાય છે. જેને લઈને તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ ગરનાળું પહોળું કરવા માટે જાહેરાત કરી હતી પરંતુ હજુ સુધી તેની કામગીરી હાથ ધરાઈ નહોતી. જેથી માણસામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં કલોલમાં લેન્ડફીલ સાઈટની કામગીરી સહીતની વિગતોનો મુખ્યમંત્રી અભ્યાસ કરી એની ઝડપથી કામગીરી થાય તેવા દિશાનિર્દેશ આપ્યા છે.
કલોલમાં રેલવેની ઉઘાડી લૂંટ, ભાડું દસ રૂપિયાથી વધારી 30 રૂપિયા કરાયું પણ ટ્રેનોના ઠેકાણા નહીં
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો