કલોલ તાલુકાનાં બે બાળકોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા, પાલિકા પણ એક્શનમાં
By પ્રશાંત લેઉવા
કલોલ
કલોલ : રાજ્યમાં ચાંદીપુરા વાયરસની બીમારી ફેલાઈ છે.કલોલ તાલુકામાં પણ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે.
જેને પગલે કલોલ નગરપાલિકા પણ એક્શનમાં આવી ગઈ છે. કલોલ નગરપાલિકા દ્વારા ચાંદીપુરા વાયરસની શક્યતાઓ અને ગંભીરતાઓ ધ્યાને લઈ જ્યાં કાચા મકાનો, પશુપાલન અને લિંપણવાળા મકાન હોય તેવા સ્થળોએ મેલેથીઓન પાઉડરનું ડસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું હતું.
કલોલ તાલુકાના બે ગામમાં પણ ચાંદીપુરા વાયરસના કેસ આવ્યા છે. કલોલના પાનસર અને ધાનોટ ગામમાં બે બાળકોને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. જેને પગલે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ચાંદીપુરા વાયરસથી રાજ્યમાં અત્યાર સુધી 19 બાળકોના મોત થઈ ગયા છે. જેને પગલે વાલીઓ ચિંતિત બન્યા છે.
ચાંદીપુરા વાયરસના લક્ષણો કેવા છે ?
ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિમાં તાવ માથાનો દુઃખાવો, આંખો લાલ થવી, અશક્તિ જેવું લાગવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણ જોવા મળે છે. આ સાથે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની સમસ્યાઓ પણ થઈ શકે છે.