આંબલીયાસણ બસ સ્ટેન્ડ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં……
આંબલીયાસણ એસ.ટી બસ સ્ટેન્ડ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાથી મુસાફરો અને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.
મહેસાણા તાલુકાના આંબલીયાસણ ખાતે મોટું જંક્સન રેલ્વે સ્ટેશન, માર્કેટયાર્ડ, શાકમાર્કેટ ઉપરાંત શાળાઓ, હોસ્પિટલો, બેન્કો, મોલો અને મોટુ બજાર હોવાને લીધે આજુબાજુના 22 ગામડાઓના લોકો આંબલીયાસણ કામ અર્થે અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે. તેમ છતાં આંબલીયાસણનું બસ સ્ટેન્ડ છેલ્લા કેટલાએ વર્ષોથી બિસ્માર હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું નવીન બસ સ્ટેન્ડ બનવાનું કામકાજ કરવામાં આવતુ નથી. જેના લીધે મુસાફરો તેમજ વિધાર્થીઓને તકલીફોનો સામનો કરવો પડતો હોય છે.
આંબલીયાસણના બિસ્માર બસ સ્ટેન્ડ માં ગંદકી નો ઉપદ્રવ જોવા મળતો હોય છે. આ ઉપરાંત અવાર નવાર ગાયો અડિંગો જમાઈ બસ સ્ટેન્ડ માં બેસતી હોય છે.જર્જરીત બસ સ્ટેન્ડ હોવાને લીધે મુસાફરો અને વિદ્યાર્થીઓને ચોમાસુ,શિયાળો અને ઉનાળામાં એસ.ટી બસની વાર જોઈ બહાર જ ખુલ્લા મેદાનમાં ઊભા રહેવું પડતું હોય છે. આ બસ સ્ટેન્ડમાં પીવાના પાણીની પણ સગવડ ન હોવાને લીધે મુસાફરો અને વિધાર્થીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. આ ઉપરાંત ચોમાસામાં વરસાદ પડતા આ બસ સ્ટેન્ડની જગ્યાએ ઘાસચારો ઉગી નીકળતા અવાવરુ બની જાય છે.તંત્ર દ્વારા બસ સ્ટેન્ડ ને જલ્દી માં જલ્દી નવું બનાવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.