શું આ વખતે કલોલ અનામત બેઠક જાહેર થશે ? કયા પક્ષમાં કોણ પ્રબળ દાવેદાર ?
કલોલ વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ભાજપ,કોંગ્રેસના રાજકીય પક્ષો પોતાના દાવપેચથી એકબીજાને શહ અને માત આપવાના ખેલ ખેલી રહ્યા છે. હાલ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાની દાવેદારી મજબૂત કરી રહ્યા છે. જોકે એક નિર્ણયથી આ તમામના પ્રયત્નો પર પાણી ફેલાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે.
અને તે છે કલોલ વિધાનસભા બેઠકને અનુસૂચિત જાતિ અનામત બેઠક જાહેર કરી દેવાય. જો શક્ય બન્યું તો ઘણા ખરા દાવ ઉલ્ટા પડવાની તેમજ કલોલની રાજનીતિ હંમેશને માટે બદલાઈ જવાની સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. આ બાદ એક નવી રાજનીતિનો ઉદય થાય તો નવાઈ કહેવાય નહીં.
ચૂંટણીનો ટેમ્પો જામવાને હજુ વાર છે પણ તૈયારીઓ તો તડામાર છે. આ વખતે વસ્તી ગણતરી થઇ નથી. આમ છતાં લોકચર્ચા ચાલી રહી છે કે કલોલ વિધાનસભા બેઠક અનામત જાહેર થઇ શકે છે. આ આવું થાય તો તમામ રાજકીય પક્ષોએ નવેસરથી કક્કો ઘૂંટવાનો વારો આવી શકે છે. આ સંજોગોમાં ભાજપ,કોંગ્રેસ સહિતના પક્ષોએ અનુસચિત જાતિનો ચહેરો શોધવો પડે. પ્રજાની ચર્ચા અનુસાર આ બેઠક અનામત જાહેર થાય તો કોંગ્રેસમાંથી અશોકભાઈ પરમાર,ધનજીભાઈ પરમાર,સંજય વાઘેલા સહીતને ટિકિટ મળી શકે છે. બીજી તરફ ભાજપમાં મુકેશભાઈ પરમાર,નિલેશ આચાર્ય,સુનિલ મેસરીયા,મુકુંદ પરીખ પ્રબળ દાવેદારો તરીકે ઉભરી શકે છે.
આ તમામ નામ સ્થાનિક નેતાગીરીમાં ઘણા જ આગળ પડતા છે. કલોલ શહેર પ્રમુખ તરીકે સેવા આપતા અશોક પરમાર કાબિલ રાજકીય વ્યક્તિત્વ ધરાવે છે. વર્ષોથી તેઓ કોંગ્રેસના કાઉન્સિલર તેમજ નેતા વિપક્ષ રહ્યા છે. કલોલના તમામ વિસ્તારના પ્રશ્નો તેઓ સદાય ઉઠાવતા રહ્યા છે. ઉમેદવારી માટે તેઓ સર્વસ્વીકૃત ચહેરો બની શકે છે. અશોક પરમાર કલોલમાં બે ટર્મથી પાર્ટીનું સુકાન સંભાળી રહ્યા છે.બીજી તરફ ભાજપના મુકેશ પરમાર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ તરીકે સેવા આપી ચુક્યા છે. તેમના અનુભવને કારણે પક્ષ તેમને ટિકિટ ફાળવી શકે છે.
ભાજપમાં પ્રદેશ અનુસચિત જાતિ મોરચાના નેતા નિલેશ આચાર્યને પણ મોકો મળી શકે છે. વહીવટી અને સંગઠનાત્મક કામગીરીના માહિર નિલેશ આચાર્ય વર્ષોથી અનુસૂચિત જાતિનું પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે. પ્રજાના કામો માટે રાત દિવસ દોડતા અને કોઈને પણ ટિકિટ મળે પોતાને મળી છે એમ સમજી, કોઈપણ જાતની પાર્ટી વિરોધી કામગીરી નહિ કરીને પક્ષને જીતાડવાના કામમાં લાગતા નિલેશ આચાર્ય પણ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. તેમણે વિસ્તારક કાર્યક્રમમાં પણ સેવા આપી છે.
કોંગ્રેસમાં વર્ષોથી કાઉન્સિલર રહેલા ધનજીભાઈ પરમારને પણ ટિકિટની લોટરી લાગી શકે છે. સામાજિક અને રાજકીય રીતે આગળ પડતા ધનજીભાઈ સરળ અને સાદું વ્યક્તિત્વ ધરાવે છે. આ ઉપરાંત અન્ય એક કાઉન્સિલર અને યુવા હોવાથી સંજય વાઘેલા પણ રેસમાં ગણાય છે.
ભાજપમાં બે ટર્મના કાઉન્સિલર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુનિલ મેસરીયાની આવડતનો પક્ષ ઉપયોગ કરી શકે છે. તેમને પાલિકા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી નહોતી જેને લઈને વિધાનસભામાં નંબર લાગી શકે છે. આ ઉપરાંત હાલ નગરપાલિકામાં ઉપપ્રમુખ એવા મુકુંદ પરીખને પણ ટિકિટ મળી શકે છે. ઉપપ્રમુખ તરીકે કરેલ સરાહનીય કામગીરીનો શિરપાવ પક્ષ ટિકિટ રૂપે તેમને આપે તેવી વધુ શક્યતા છે.
જોકે અનામત બેઠકથી સમગ્ર ગણિત બદલી જાય તેમ છે. કલોલમાં સૌથી વધુ ઠાકોર વોટ,બીજા નંબરે પાટીદાર વોટ અને ત્રીજા નંબરે અનુસચિત જાતિમાં વોટ છે. જે તરફ ઠાકોર અને પાટીદાર વોટ પડે તેની જીતવાની શક્યતા વધુ છે. જો 2022માં અનામત બેઠક ન આવે તો 2027માં આવવાની શક્યતા 100 ટકા છે. આ સંજોગોમાં ઉમેદવારોએ જીતવું હશે તો ફૂલ ફ્લેજ્ડમાં મહેનત ચાલુ રાખવી પડશે.
સુપર એક્સક્લુઝિવ : આ વખતે કલોલમાં ભાજપ-કોંગ્રેસનો જંગ રસપ્રદ બનશે
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
1 thought on “શું આ વખતે કલોલ અનામત બેઠક જાહેર થશે ? કયા પક્ષમાં કોણ પ્રબળ દાવેદાર ?”