કલોલના રેલવે અંડરબ્રિજમાં ગાયોનો ત્રાસ,વાહન ચાલકોમાં રોષ
કલોલ : કલોલના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારને જોડતા અંડરબ્રિજમાં રખડતા ઢોરોને કારણે વાહન ચાલકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અંડરબ્રિજમાં પ્રવેશતા જ સેંકડો ગાયો અને આખલાઓને કારણે લાંબા સમય સુધી ટ્રાફિકજામ થઈ જાય છે. જેને કારણે લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે.
કલોલના જાહેરમાર્ગો પર રખડતા ઢોરની સમસ્યા કાયમી ઘર કરી છે. હવે આ ઢોર અંડરબ્રિજમાં પણ પ્રવેશતા મુસીબતમાં વધારો થયો છે. સાંકડા અંડરબ્રિજમાં વાહનોની સાથે ઢોરો પણ હોવાથી ટ્રાફિકજામ થઈ જતો હોય છે. ઘણી વખત આ ગાયો અંડરબ્રિજમાં રાહદારીઓને અડફેટે પણ લેતી હોય છે.

ઢોરોને કારણે વાહન ચાલકો અંડરબ્રિજમાંથી પસાર થતા પણ ડર અનુભવી રહ્યાં છે. છેલ્લા કેટલાક મહિનાથી ગાયોનો ત્રાસ વધી જતાં સવાર સાંજ વાહન ચાલકો હેરાન થઈ રહ્યાં છે.આ ઉપરાંત અકસ્માતનો ખતરો પણ વધી રહ્યો છે. આ સંજોગોમાં તંત્ર દ્વારા ગાયોને અંડરબ્રિજમાં પ્રવેશતી રોકવામાં આવે તેવી લોકમાંગણી ઉઠી છે.