કલોલની રઘુવીર સોસાયટી આગળ અસામાજિક તત્વોનો ત્રાસ
કલોલ પૂર્વ વિસ્તારમાં રઘુવીર ચોકડી આસપાસ અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. આ વિસ્તારમાં વારંવાર ઝઘડા અને અશાંતિની ઘટનાઓ બનતી હોવાનું સ્થાનિક રહેવાસીઓ જણાવી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ છે. આ સમસ્યાથી કંટાળીને સ્થાનિકો હવે ખુલ્લેઆમ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.
સ્થાનિક સામાજિક કાર્યકર અને ભાજપના પ્રદેશ નેતા નિલેશ આચાર્યએ આ મુદ્દે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, “રઘુવીર ચોકડી પર અવારનવાર નશામાં ધૂત લોકો અને અસામાજિક તત્વો ઝઘડા કરે છે, જેનાથી આ વિસ્તારમાં રહેતા પરિવારો અને વેપારીઓ પરેશાન થઈ ગયા છે. ખાસ કરીને સાંજના સમયે આવી ઘટનાઓ વધુ બને છે, જેના કારણે લોકો ઘરની બહાર નીકળવામાં પણ ડરે છે.”
નિલેશ આચાર્યએ પોલીસને આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા અને આવી ઘટનાઓને અટકાવવા માટે કડક પગલાં લેવાની માંગ કરી છે. સ્થાનિક રહેવાસીઓનું પણ કહેવું છે કે પોલીસની હાજરી વધારવામાં આવે અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો આ સમસ્યા પર કાબૂ મેળવી શકાય. રઘુવીર સોસાયટીના રહીશોએ આ બાબતે નિલેશ આચાર્યને રજુઆત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ રેલવે પૂર્વના જાગૃત યુવાનોએ આ બાબતે ડીવાયએસપીને લેખિત અને મૌખિક રજુઆત કરી હતી તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ ફર્ક પડ્યો નથી.