કલોલ નગરપાલિકામાં ફરી વિવાદ : વિકાસકાર્યોમાં સત્તાપક્ષનાં નગરસેવકોએ રોડા નાંખ્યા
BY પ્રશાંત લેઉવા
કલોલ : કલોલ નગરપાલિકા અને વિવાદ એકબીજાના પર્યાય થઈ ગયા તેમ લાગી રહ્યું છે. કલોલ નગરપાલિકામાં હવે નવો વિવાદ ઊભો થયો છે. કલોલ નગરપાલિકામાં ધારાસભ્યની સાડા સાત કરોડની ગ્રાન્ટમાંથી થનારા વિકાસના કામો ઉપર બ્રેક લાગી છે. શહેરના જુદા જુદા વોર્ડમાં સાડા સાત કરોડના ખર્ચે રોડ અને પેવર બ્લોકના કામ કરવાના હતા પરંતુ મંજૂર થઈ ગયેલા કામનો સત્તા પક્ષની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સભ્યોએ રિટેન્ડરીંગ માગતા કામ અટકી પડ્યું છે.
કલોલમાં ભાજપના ધારાસભ્ય બકાજી ઠાકોરની સાડા સાત કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી શહેરનાં જુદા જુદા વોર્ડ અને વિસ્તારમાં વિકાસના કામો હાથ ધરવામાં આવનાર હતા. આ વિકાસના કામોને લઈને પ્રક્રિયા બાદ કામ મંજૂર થઈ ગયું હતું જોકે સત્તા પક્ષના કેટલાક કોર્પોરેટરોએ તેનો વિરોધ કર્યો હતો અને મંજૂર થયેલા કામનું રીટેન્ડરીંગ માંગતા રાજકારણ ગરમાયુ છે. શહેરમાં વિકાસના કામો અટકી ગયા છે અને હવે રિટેન્ડરિંગ બાદ જ નવા કામ શરૂ થશે જેને લઈને નગરપાલિકામાં ફરી જૂથવાદ અને અંદરો અંદર ખેંચતાણ સર્જાઇ હોય તેઓ તેવી ચર્ચા ઉઠી છે.
કલોલ નગરપાલિકામાં છેલ્લા દસ દિવસમાં ત્રણથી ચાર વિવાદ સામે આવ્યા છે. પાલિકામાં અવારનવાર વિકાસ કાર્યોને લઈને વિવાદ સર્જાતા હોય છે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ કામોનું રિટેન્ડરિંગ માંગવામાં આવતા વિવાદ સર્જાયો છે. કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોરની સાડા સાત કરોડની ગ્રાન્ટથી શહેરના જુદા જુદા 11 વોર્ડમાં સીસી રોડ અને પેવર બ્લોકનું કામ હાથ ધરવામાં આવનાર હતું. તે માટે પ્રક્રિયા બાદ કામને મંજૂરીની મહોર મારી દેવામાં આવી હતી અને ટૂંક સમયમાં કામ શરૂ થવાનું હતું. આ સંજોગોમાં સત્તા પક્ષના કેટલાક નગરસેવકોએ તેમાં પથરો મારીને કામ રોકાવી દીધું છે. સત્તા પક્ષના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સભ્યોએ મંજૂર થયેલ કામનું રિટેન્ડરિંગ માગ્યું હતું અને રીટેન્ડરિંગનો ઠરાવ પણ કરી દેવામાં આવ્યો છે આ કારણે વિકાસના કામો અટકી પડ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ અટકી પડેલા કામો ક્યારે થશે તેવો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો છે.
કલોલ નગરપાલિકામાં નવા પ્રમુખ આવ્યા છે ત્યારથી વિવાદ વધી ગયા છે તેમજ જૂથવાદ પણ ભયંકર હદે પહોંચ્યો છે. ભાજપના કોર્પોરેટરોએ મંજૂર થયેલ કામનું રિટેન્ડરિંગ માંગતા અનેક પ્રશ્નો સર્જાયા છે. આ કોર્પોરેટરોને કોન્ટ્રાક્ટર સાથે મેળ નહી આવ્યો હોય કે તેમને પ્રસાદ નહિ ધરાયો હોય તેવી ચર્ચાએ પણ કલોલ શહેરમાં જોર પકડ્યું છે. વિકાસના કામો ખોરવાઈ જતા કલોલ શહેરના નાગરિકોમાં પણ રોષની લાગણી પ્રવર્તી છે.