કલોલમાં ધારાસભ્ય ભાજપનાં હોય કે કોંગ્રેસનાં નગરપાલિકામાં કાયમ રાજકીય અસ્થિરતા
BY પ્રશાંત લેઉવા
- વાંચો, કયા છે આ ચાર ઘટનાક્રમ જેથી પાલિકા અસ્થિર બની
- કોંગ્રેસ અને ભાજપ બેયમાં સત્તા ભોગવી ચૂકેલા એક નગરસેવકનો તમામ ઘટનાઓમાં મહત્વનો રોલ
- દબાણ હટાવ ઝુંબેશમાં 12 અને 9નાં જૂથે એક થઈ સહી અભિયાન ચલાવ્યું
કલોલ : છેલ્લા કેટલાક વર્ષથી કલોલ નગરપાલિકાને કોઈનું ગ્રહણ લાગી ગયું હોય તેમ અસ્થિરતા જોવા મળી રહી છે. કલોલ નગરપાલિકામાં કોઈને કોઈ કારણે સતત વિવાદ થતો હોય છે જેને કારણે પ્રજાના કામો થતા અટકી ગયા છે. કલોલમાં રોડ-રસ્તા, ગટર,પાણી અને ગંદકીની અનેક ફરિયાદો છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં આવતી નથી. કલોલ નગરપાલિકામાં ચૂંટાયેલા નગરસેવકો ફક્ત લડવામાં જ મસ્ત હોવાથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે.
ભાજપમાં બળવો
કલોલ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય કોંગ્રેસના હોય કે ભાજપના નગરપાલિકા સતત અસ્થિર જોવા મળી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. વાત કરીએ જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે કલોલ નગરપાલિકામાં ભાજપનું શાસન ઉથલી ગયું હતું અને બળવાખોરોના ટેકાથી કોંગ્રેસે નગરપાલિકાની સત્તા હસ્તગત કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના શાસનમાં પ્રજાલક્ષી અનેક વિકાસના કામો થયા હતા. ત્યારબાદ ફરી બળવાખોર નગરસેવકોએ પાટલી બદલી ભાજપનો સાથ આપ્યો હતો અને કોંગ્રેસે સત્તા ગુમાવી હતી. આ ઘટનાક્રમ બાદ કલોલ નગરપાલિકામાં સતત ઉકળતો ચરુ રહ્યો છે.
દબાણ ઝુંબેશમાં નારાજગી
આબાદ 28 ફેબ્રુઆરી 2021 ના રોજ કલોલ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. કલોલ નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યા બાદ દબાણનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. વોર્ડ નંબર આઠના નગર સેવકે પત્ર લખીને કલોલમાં દબાણો હટાવવા માટેની માંગણી કરી હતી. ત્યારબાદ તત્કાલીન પ્રમુખ દ્વારા મક્કમ નિર્ણય લઈને સમગ્ર શહેરમાં દબાણનો સફાયો કરવામાં આવ્યો હતો. જોકે દબાણ કામગીરી કલોલના મહેન્દ્ર મિલ રોડ વિસ્તારમાં પહોંચી ત્યારબાદ એક નગર સેવક દ્વારા દબાણ કામગીરી અટકાવવા માટેની હિલચાલ હાથ ધરાઈ હતી. આ નગરસેવકે કુલ 18 નગરસેવકોને પોતાની તરફેણમાં કરીને બળવો પોકારવાની સ્થિતિ ઊભી કરી હતી પરંતુ યેનકેન પ્રકારે તેને દાબી દેવામાં આવી હતી. જો આ મામલે કડક પગલાં ન લેવાયા હોત તો નગરપાલિકામાં નવાજૂની તેમજ ફરીથી અસ્થિરતા ઉભી થાય તેવા એંધાણ હતા. મજાની વાત તો એ છે કે અત્યારે 12ના જૂથ અને 9નું જૂથ આ બંને ટુકડીનાં નગર સેવકોનો સમાવેશ તત્કાલીન 18ના જૂથમાં થતો હતો.
કારોબારી સમિતિનાં ચેરમેનની વરણીમાં રાજીનામાં અને લાફાકાંડ
હવે ભાજપનાં ધારાસભ્ય બની ગયા હતા. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ હતી અને પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને બદલવામાં આવ્યા હતા. આ નિમણૂકની વિરુદ્ધમાં કલોલ નગરપાલિકાના નવ નગર સેવકોએ રાજીનામું ધરી દીધું હતું. તેમણે કારોબારી સમિતિના ચેરમેન અને પ્રમુખને બદલવાની માગણી કરી હતી પરંતુ તેમની માગણી સંતોષવામાં આવી નહોતી. આમ આ જૂથ છેલ્લા કેટલાય સમયથી અલગ ચાલી રહ્યું હતું તે દરમિયાન હવે ધારાસભ્યની ગ્રાન્ટને લઈને નવો વિવાદ ઉભો થયો હતો. આ વિવાદમાં કલોલ નગરપાલિકામાં લોકોના ટોળાએ તોડફોડ કરી હતી અને કારોબારી સમિતિના ચેરમેનને લાફો મારી દીધો હતો. જેને પગલે સમિતિના ચેરમેન સહિતના 12 લોકોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ રાજીનામું આપતા જ કલોલ નગરપાલિકામાં ફરીથી અસ્થિરતાના વાદળો ઘેરાયા હતા.
મહત્વની વાત તો એ છે કે કલોલ નગરપાલિકામાં રાજકીય અસ્થિરતાના પ્રસંગોમાં એક નગર સેવક હંમેશા માટે જોવા મળ્યા છે અને તેમનો મહત્વનો રોલ રહ્યો છે. ઉપરોક્ત ચારેય બનાવોમાં તેઓ પહેલા કોંગ્રેસમાં અને પછી ભાજપમાં હતા. તાજેતરમાં થયેલા લાફાકાંડ બાદ આપવામાં આવેલા રાજીનામામાં સૌથી પહેલું રાજીનામું તેમણે જ આપીને આગેવાની લીધી હતી.
સાચી વાત છે સાહેબ !