કલોલ ભાજપ-નગરપાલિકામાં અસંતુષ્ટો ફાવશે કે પાર્ટીના વફાદાર ?
BY પ્રશાંત લેઉવા
- નવ અને બાર સિવાયનાં બાકી રહેલા વફાદાર નગરસેવકોને આગામી ચૂંટણીમાં ઇનામ મળશે કે કેમ તેવી ચર્ચા
- સંગઠન, પાલિકા અને વિધાનસભા લેવલે તાલમેલનો બિલકુલ અભાવ
કલોલ : કલોલ નગરપાલિકા અને ભાજપમાં થતા વારંવાર અસંતોષને કારણે હાઈ કમાન્ડ પણ ચોંકી ઉઠ્યું છે. કલોલ શહેરમાં ભાજપના પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રજાસેવકોમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે જેને કારણે રાજીનામાં આપવા સુધીની પણ વાત પહોંચી ગઈ છે.
અગાઉ નગરપાલિકાના નવ નગર સેવકોએ રાજીનામાં આપ્યા હતા. ત્યારબાદ બીજા એક વિવાદમાં 12 નગર સેવકોએ રાજીનામાં આપ્યા તેમજ શહેર સંગઠનમાંથી રાજીનામાં પડશે તેઓ દાવો કરવામાં આવ્યો. આ ઉપરાંત ધારાસભ્ય ઉપર પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે જેને લઈને કલોલમાં ભાજપની છાપ ખરડાઈ છે.
કલોલ નગરપાલિકામાં અઢી વર્ષની ટમ પૂર્ણ થયા બાદ નવા કારોબારી ચેરમેન અને પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી. તેના વિરોધમાં નવ નગર સેવકોએ રાજીનામાં આપી દીધા હતા આ બાદ કલોલ નગરપાલિકામાં ધારાસભ્યની ગ્રાન્ટને લઈને થયેલી બબાલમાં બાર નગર સેવકોએ રાજીનામાં આપી દીધા છે તેમજ તેમાંથી એક બે લોકોએ પરત પણ ખેંચી લીધા હોવાની માહિતી સામે આવી છે.
આ 22 જેટલા નગર સેવકોએ ભાજપ પક્ષની શિસ્તના લીરેલીરા ઉડાવતા હોય તેમ બળવાખોરોનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને કલોલ નગરપાલિકામાં ભાજપનું શાસન સંકટમાં મુકાય તેવી સ્થિતિ સર્જી હતી. આ દરમિયાન એવી ચર્ચા ઉઠી છે કે આ 22 નગરસેવકો સિવાય કલોલ નગરપાલિકામાં ભાજપના જે નગરસેવકો બાકી રહ્યા છે અને પક્ષના વફાદાર રહીને લોકોની સેવા કરી રહ્યા છે તેમને કોઈ શિરપાવ મળશે કે કેમ ? નગરપાલિકામાં બંને જૂથોએ આ વફાદાર નગરસેવકોને પોતાની તરફે કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હોવા છતાં તેઓ આજ દિન સુધી પક્ષની સાથે જ રહ્યા છે અને પક્ષના આદેશને માથે ચડાવ્યો છે ત્યારે કલોલ નગરપાલિકાની આગામી ચૂંટણીમાં આ નગર સેવકોને મોટું ઇનામ મળે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. કેમકે આ 22 જેટલા નગરસેવકોએ પાર્ટી લાઈનની વિરુદ્ધમાં કામ કર્યું હોવાનું ગણગણાટ વ્યાપ્યો છે ત્યારે તેમની વિરુદ્ધ આગામી સમયમાં પગલાં પણ ભરવામાં આવી શકે છે.
કલોલમાં સંગઠન, નગરપાલિકા અને વિધાનસભા આ ત્રણેય લેવલે કોઈ પણ જાતનો તાલમેલ નથી તેવું આ સમગ્ર વિવાદમાં સાબિત થયું છે. પાલિકાની ચૂંટણીમાં જે લોકોને સંગઠન દ્વારા ટિકિટ નહોતી આપવામાં આવી તે લોકો હવે વિરોધી સાઈડમાં જઈને બેસી ગયા છે તેવી પણ એક ચર્ચાએ સમગ્ર શહેરમાં જોર પકડ્યું છે
સામાન્ય રીતે રાજકીય પક્ષોમાં એવું બનતું હોય છે કે કામ કરનારા પદાધિકારીઓ અને નગર સેવકો સાઈડમાં રહી જતા હોય છે અને પક્ષ વિરુદ્ધ કામગીરી કરનારાઓને ઇનામ મળતું હોય છે. તેમજ તેમને મોટા હોદ્દાઓની લહાણી કરવામાં આવે છે ત્યારે કલોલ ભાજપમાં શું આ સ્થિતિ પેદા થશે કે નહીં તે તો સમય જ જણાવશે.