કલોલ કોંગ્રેસે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું
કોરોના સહાય પુરેપુરી ચૂકવાય તે માટે આજે કલોલ કોંગ્રેસે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના કાર્યાલયથી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.જેમાં ધારાસભ્ય બળદેવજી ઠાકોર,શહેર પ્રમુખ અશોકભાઈ પરમાર,તાલુકા પ્રમુખ રશ્મિજી ઠાકોર તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
કોંગ્રેસે જણાવ્યું હતું કે કોવીડ – ૧૯ મહામારી હાલમાં ઝડપી ફેલાવો રોકવા માટે તાત્કાલિક ગંભીર પગલાં લેવાની સરકારને ફરજ પડી છે.રોજીદી આવક ઉપર નિર્ભર એવા ગરીબ લોકોની સંખ્યા ગુજરાતમાં એટલી બધી વિશાળ છે કે આપણે તમામ આર્થિક પ્રવૃત્તિઓ બંધ કરી શકીએ નહી. હાલના કટોકટીભર્યા સમયમાં કોવીડ -૧૯ મહામારીમાં ગુજરાત સરકારે ગુન્હાહિત બેદરકારી અને અણઘડ વહીવટ દ્વારા કોરોનાના કપરા કાળમાં હોસ્પિટલોમાં બેડ , દવાઓ, ઇન્જેક્શન, ઓક્સીજન અને વેન્ટીલેટરના અભાવે ગુજરાતના ૩ લાખ કરતાથી વધુ લોકોના મૃત્યુ થયા હતા.
ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવારમાં લાખો રૂપિયાની ઉઘાડી લુંટ ચલાવામાં આવી. સામાન્ય અને માધ્યમ વર્ગના પરિવારો આર્થિક પાયમાલીનો સામનો કરવો પડ્યો. પશુ અને મનુષ્ય માટે ૫૦,૦૦૦ વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે અસંવેદનશીલ સરકાર હોવાનું પુરવાર કર્યું છે અને મૃતક પરિવારો સાથે માનવ જાતની પણ ક્રૂર મજાક કરી છે એક બાજુ સરકાર મોતના આંકડા છુપાવવાની રમત કરી સરકારી ચોપડે નોંધાયેલ મૃતકોની યાદી ગેઝેટ મારફતે પ્રસિદ્ધ કરતી નથી, મૃતકના આધાર – પુરાવા તપાસી મરણ પ્રમાણપત્રમાં સુધારા કરવા જીલ્લા દીઠ નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવતી નથી. મરણ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ અન્ય બીમારી લખી મૃત્યુ આંક છુપાવી રહી છે.
કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને અને મોંઘી સારવારના કારણે આર્થિક રીતે પાયમાલ થયેલ લોકોને મદદરૂપ થવાના હેતુથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોવીડ-૧૯ ન્યાય યાત્રાનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવેલ છે.
આ યાત્રાનો હેતુ મહામારીમાં મૃતકોની વિગતો ઓનલાઈન વર્ચ્યુઅલ મેમોરિયલ પર અપલોડ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવાનો તેમજ આપણા કોવીડ-૧૯ ન્યાય પત્રની ચાર માંગણીઓ જેવી કે (૧) કોવીડ -૧૯ થી અવસાન પામેલ દરેક મૃતક માટે રૂપિયા ચાર લાખનું વળતર (૨) કોવીડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડીકલ બિલ્સની રકમની ચુકવણી (૩) સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ (૪) કોવીડથી અવસાન પામેલ સરકારી કર્મચારીઓના સંતાન / પરિવારજનો પૈકી કાયમી નોકરી જેવી માંગણીઓ દ્વારા કોરોના મહામારીના અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવાનો છે.
ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ અંતર્ગતની જોગવાઈ મુજબ કુદરતી આપદા સમયે રાહત/સહાયના ૪ લાખ રૂપિયા ચુકવવા પૈસા નથી પરંતુ બુલેટ ટ્રેન, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, ઉદ્યોગપતિઓના દેવા માફી,એરોપ્લેન – હેલીકોપ્ટર ખરીદવા માટે કરોડો રૂપિયા વેડફી રહી છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂણે ખૂણે જઈને કોરોના મૃતક પરિવારજનોને મળ્યા છે. કોરોના મૃતક પરિવારજનો વતી કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ પ્રમાણે કોરોના મૃતક પરિવારોને રૂપિયા ચાર લાખની સહાય સરકારશ્રી તરફથી ચુકવવામાં આવે.